૧૯૫૦-૬૦ના ગાળામાં, દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વસાહતીઓ બ્રિટન આવ્યા અને લૅન્કેશર, યૉર્કશરનાં 'મિલ નગરો' માં વસ્યા. ૧૯૬૦-૭૦માં યુગાન્ડા તથા અન્ય આફ્રિકન દેશોના ગુજરાતી મૂળના લોકો આવ્યા અને મોટે ભાગે લંડન, લેસ્ટરમાં સ્થાયી થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા - સાહિત્યનો વારસો લઈને આવેલા.
૧૯૬૫ના શિયાળામાં, હઝલકાર 'બેકાર' ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં, બોલ્ટનના સ્પિનર્સ હૉલમાં, મુશાયરો થયો, જેમાં અંજુમ વાલોડી, કદમ ટંકારવી, મહેક ટંકારવી તથા સૂફી મનુબરીએ કાવ્યપઠન કરેલું. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો.
૧૯૬૭માં કદમ ટંકારવી તથા મહેક ટંકારવીએ લૅન્કેશરમાં 'ગુજરાતી સાહિત્ય મંડળ'ની સ્થાપના કરી. ૧૯૭૩માં શેખાદમ આબુવાલા જર્મનીથી બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે પ્રેસ્ટનમાં કદમ ટંકારવીના નિવાસે કવિમિલન યોજાયેલું. આ પ્રસંગે શેખાદમની પ્રેરણાથી, 'ગુજરાતી સાહિત્ય મંડળ'નું 'ગુજરાતી રાઇટર્સ' ગિલ્ડ, યુ.કે.'માં રૂપાંતર થયું, અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો.